મસ્કતના સોશિયલ વર્કરની પ્રેરણાથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી માટે માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીને રૂપિયા એક લાખનું દાન મળ્યું.

માંડવી તા. ૦૬/૧૧
અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ને મસ્કતના સોશિયલ વર્કર અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ટ્રસ્ટી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણાથી મસ્કતના એક સદ ગૃહસ્થ દાતા તરફથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી માટે રૂપિયા 1,00,000/- (એક લાખ) નું દાન મળેલ છે.
સંસ્થાના કાર્યાલયમાં તાજેતરમાં યોજાયેલા એક સાદા કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી અને મસ્કતના સોશિયલ વર્કર શ્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરને મસ્કતના એક સદગૃહસ્થ દાતા તરફથી મળેલા રૂપિયા 1,00,000/- (એક લાખ)ના દાનનો ચેક અર્પણ કરેલ હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, મસ્કતના આ સદગૃહસ્થ દાતા તરફથી માંડવીની આ સંસ્થાને, સંસ્થાની બધી સેવાકીય પ્રવૃત્તિઓ માટે વર્ષોથી દાન મળ્યા જ કરે છે. તેમજ ડો. ચંદ્રકાન્તભાઇ વલ્લભદાસ ચોથાણી મસ્કત ગુજરાતી સમાજના આદ્ય સંસ્થાપક તથા માનદ ઉપપ્રમુખ અને મહામંત્રી તેમજ જાણીતા સમાજસેવક છે. તેઓ આ સંસ્થાના ટ્રસ્ટી પણ છે અને માંડવીની અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો મધુભાઈ રાણા, પ્રવર્તમાન પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપ-પ્રમુખ કમલેશભાઈ પાઠક, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, સહમંત્રી સુલતાનભાઈ મીર, સહજાનચી અશ્વિનભાઈ ગજરા, પૂર્વ પ્રમુખ ડો. કૌશિકભાઈ શાહ અને અરવિંદભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે મસ્કતના સદગૃહસ્થ દાતા અને એક લાખ રૂપિયાનું દાન અપાવવા બદલ મસ્કતના સોશિયલ વર્કર ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી નો આભાર માન્યો હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *