કચ્છમાં પ્રથમ વખત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના મૂલ્યાંકન અંગે મુન્દ્રાની બી.એડ. કોલેજના પ્રોફેસર દ્વારા સંશોધન કરવામાં આવ્યુ

કચ્છ જિલ્લાની 63 પ્રાથમિક શાળાઓના આચાર્યો, 170 શિક્ષકો અને 1202 વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવી સ્માર્ટ કલાસરૂમ દ્વારા અપાતા ડીઝીટલ શિક્ષણની સફળતાનો અભ્યાસ કરી તારણો રજૂ કરાયા

જ્ઞાનકુંજ સંશોધન માટે મુન્દ્રાની કોલેજના પ્રોફેસર ડો. હિતેષ કગથરાનું ગાંધીનગર ખાતે સન્માન કરાયુ

મુન્દ્રા, તા.23: કોવિડ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં શાળાઓ બંધ હતી ત્યારે 120 કરોડથી વધુ બાળકો વર્ગખંડની બહાર અભ્યાસ કરતા હતા એવા સમયે દરેક દેશને ઓનલાઈન શિક્ષણની આવશ્યકતા જણાઈ હતી. જેના અનુસંધાને ગુજરાતના બાળકો માટે પણ 2017થી ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે શરૂ કરાયેલ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થયો હતો.
જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ સ્માર્ટ કલાસરૂમમાં એનરોઇડ સિસ્ટમ વાળી બ્લેકબોર્ડ જેવડી ફૂલ સાઈઝની ટીવી, લેપટોપ અને સંલગ્ન સોફ્ટવેરના સંકલિત ઉપયોગથી બાળકોને ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ કેટલા અંશે સફળ રહ્યો તે બાબતનો અભ્યાસ કરવા માટે ગાંધીનગરની ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના સંશોધન કેન્દ્ર વિભાગ દ્વારા મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના પ્રોફેસર ડો. હિતેષભાઇ કગથરા દ્વારા કચ્છમાં પ્રથમ વખત જિલ્લાની 63 પ્રાથમિક શાળાઓના આચાર્યો, 170 શિક્ષકો અને 1202 વિદ્યાર્થીઓના અભિપ્રાયો મેળવી સ્માર્ટ કલાસરૂમ દ્વારા અપાતા ડીઝીટલ શિક્ષણની સફળતાનો અભ્યાસ કરી તારણો રજૂ કરવામાં આવ્યા હતા.
સંશોધનથી મળેલા તારણોની સમીક્ષા કરતા 63 આચાર્યોના મતે જ્ઞાનકુંજ પ્રોજેકટ ભૌતિક સુવિધાઓ અને ઉપયોગીતાની દ્રષ્ટિએ સર્વાંશે યોગ્ય હોવાનું જણાવ્યું હતું. જ્યારે 170 શિક્ષકોના મતે સાધન સુવિધા સારી હોવાની સાથે ઇન્ટરનેટની મંદગતિ, સિસ્ટમનું હેંગ થવું જેવી સમસ્યાનો ઉલ્લેખ કરતા ભાષાકીય વિષય કરતા ગણિત અને વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય કરવામાં સરળતા રહેતી હોવાનું જણાયું હતું.
કચ્છના 10 તાલુકાની 63 ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8ના 1202 વિદ્યાર્થીઓના મતે સ્વ અધ્યયન કાર્યો, વ્યાકરણ, વિજ્ઞાનના પ્રયોગો, સામાજિક વિજ્ઞાનના વિષયમાં નકશા વાંચન વગેરેમાં રૂચિકર કાર્ય થતું હોવાનું જણાવ્યું હતું આમ મૂલ્યાંકન સ્વરૂપે એકંદરે કહી શકાય કે જ્ઞાનકુંજ પ્રોજેકટ પ્રવર્તમાન સમયની શિક્ષણ ક્ષેત્રની માંગને પૂર્ણ કરવા સક્ષમ છે.
ઉપરોક્ત અભિપ્રાયોના આધારે અભ્યાસના તારણો પરથી શૈક્ષણિક ફલિતાર્થો રજૂ કરતા સંશોધક ડો. કગથરાએ જણાવ્યું હતું કે પ્રોજકટના વિવિધ સાધનોથી આચાર્યોને માહિતગાર કરવા જોઈએ તથા અધ્યાપન કાર્યમાં ઉપયોગી સંશાધનો અંગે શિક્ષકોને તાલીમ આપવી, વાઈ-ફાઈ, ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા દૂર કરવી, સિસ્ટમને અપડેટ કરવાની સાથે કીબોર્ડ અને ટચ સેન્સિટીવીટી જેવી સુવિધાઓ યોગ્ય હોવી જોઈએ એવા નિષ્કર્ષ સાથે વિદ્યાર્થીઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટના માધ્યમથી ગણિત-વિજ્ઞાન, ભૂગોળ જેવા કઠિન વિષયોને સરળતાથી સમજી શકતા હોઈ તેની અભ્યાસની રુચિમાં વધારો થતા વર્ગખંડમાં વિદ્યાર્થીઓની નિયમિતતા અને અભિરુચિમાં વધારો થશે એમ જણાવ્યું હતું.
તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ યુથ ફેસ્ટિવલના સમાપન સંભારંભમાં આઈ.આઈ. ટી.ઇ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર હર્ષદ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં સંશોધન કાર્યની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા મુન્દ્રાની કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હિતેષ કગથરાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે સંસ્થા માટે પ્રથમ વખત આવું સંશોધન કાર્યનું સદભાગ્ય પ્રાપ્ત થયાનું જણાવીને ડો. કગથરાને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તમામ સ્ટાફમિત્રોએ સિદ્ધિને આવકારતા અભિનંદન પાઠવ્યા હતા

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *