માંડવીમાં રવિવારે અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે રાષ્ટ્રસંત અચલગચ્છાધિપતિ ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની 35મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુગુણ ભક્તિ મહોત્સવ અને નૃત્યનાટિકા નો અનોખો અને અવનવો કાર્યક્રમ યોજાશે

માંડવી તા. ૧૪/૧૦
રાષ્ટ્રસંત, ભારતદિવાકર, કચ્છ કેસરી, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબની 35મી પુણ્યતિથિ, માંડવી અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે તા. 15/10 ને રવિવારના ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
માંડવીમાં ચાતુર્માસાથેૅ બિરાજમાન પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી આગમકિરણાશ્રીજી મહારાજ સાહેબ આદીઠાણા ૩ની પાવન નિશ્રામાં તા. 15/10 ને રવિવારના બપોરે ત્રણ કલાકે શ્રી ગૌતમ – ગુણ – ગુલાબ અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રય- છાપરાશેરી – માંડવી મધ્યે એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ગુરુગુણભક્તિ નૃત્ય સાથે બાળકો તથા બહેનો બે નાટક પ્રસ્તુત કરશે જેમાં માંડવીના પાંચેગચ્છ ના સકળ સંઘના ભાઈઓ અને બહેનોને સમયસર પધારવા માંડવીના અચલગચ્છ જૈન સંઘ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ હોવાનું અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું છે.
“ટેન્શન – ટેન્શન” અને “વહુઓ અમારી વન્ડરફુલ” નામના બે નાટક અનુક્રમે બાબાવાડી પાઠશાળાના બાળકો અને માંડવીના બહેનો રજૂ કરશે ગુરુગુણનૃત્ય અને પશુઓના સંવાદ પણ રજૂ થશે.
માંડવીના કોકીલ કંઠી નિશાબેન સંઘવી સુમધુર સ્વરોમાં સાઉન્ડ સિસ્ટમની સાથે સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરશે.
કાર્યક્રમ રવિવારના બપોરના ૩ વાગ્યે શરૂ થશે પણ ૩:૧૫ વાગ્યા સુધીમાં આવનારને લક્કીડ્રોના પાસ તથા સાંજના ચૌવિહારના પાસ આપવામાં આવશે. કાર્યક્રમના સમાપન બાદ અચલગચ્છ જૈન સંઘના રસોડે ચૌવિહાર ની વ્યવસ્થા રાખવામાં આવેલું હોવાનું સંઘના પ્રમુખ અને કારોબારી સભ્યોની યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *