શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે. માંડવીમાં શ્રમજીવી પરિવારોના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું

છેલ્લા 13 વર્ષથી વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજ ના ઉપક્રમે માંડવીમાં જુના સ્વામિનારાયણના મંદિરની બાજુમાં શ્રમજીવી પરિવારોના ધોરણ 1 થી કોલેજ સુધીના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું હતું.
દાતા માતૃશ્રી લીલાવંતીબેન જે. મહેતા પરિવારના સહયોગથી માંડવીમાં શ્રમજીવી પરિવારોના 30 જેટલા તેજસ્વી તારલાઓનું અભિવાદન કરાયું હતું.
સંસ્થાના પ્રમુખશ્રી વી.જી.મહેતાએ પ્રમુખ સ્થાનેથી બોલતા જણાવ્યું હતું કે, “શિક્ષણ એ તમામ સમસ્યાઓ સામે લડવાનો રામબાણ ઈલાજ છે”.
પ્રોજેક્ટ ચેરમેન અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે, આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેજસ્વી તારલાઓએ ગત વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવવા બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અતિથિ વિશેષ પદેથી માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી એ દાતા લીલાવંતીબેન જે. મહેતા (ભુજ) ને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ શ્રી વી.જી.મહેતા (ભુજ) અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ (માંડવી)ની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
આ પ્રસંગે ભુજથી આવેલા સંસ્થાના કાર્યકરો શાંતિલાલભાઈ મોતા (આચાર્ય રાવલવાડી પ્રા. શાળા ભુજ),પ્રદીપભાઈ દોશી, હિરેનભાઈ દોશી, વિજયભાઈ મહેતા, ચિંતનભાઈ મહેતા, ઓજસભાઈ શેઠ તથા માંડવીના સંસ્થાના કાર્યકર જયેશભાઈ ચંદુરા અને ડો. જય મહેતાએ પણ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા. માંડવી ૬ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ (ભાછા)પણ ઉપસ્થિત રહ્યા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે કરેલ હતું. જ્યારે સંસ્થાના કાર્યકર અને માંડવી તપગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરાએ આભાર દર્શન કરેલ હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *