દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન
જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું
દાહોદ:તા.૦૧,
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત અને કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
મંત્રીશ્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.
‘Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.
મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે. ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત સભ્ય શ્રીઓ તાલુકા પંચાયત સભ્ય શ્રીઓ સરપંચ શ્રીઓ પ્રાંત અધિકારી શ્રીમતી જ્યોતીબા ગોહિલ મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો વગેરે જોડાયા હતા.
અહેવાલ :- શેખ અબ્દુલ કાદિર